શ્રીજીમહારાજનું મુખ્યપણું તથા કર્તાપણું

  February 5, 2017

ગત તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૧૪ના પવિત્ર દિને પ્રાપ્ત થયેલ આ પ્રસંગ પ્રેરણાદાયી છે. હેડંબા ઝાડી દેશની વન્ય ભૂમિ ઉપર પથરાયેલા ગોધરા શહેરમાં આજે અતિ મંગલકારી દિન હતો. કારણ કે અનંતકોટિ બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ રંગેચંગે ગોધરા શહેરના નૂતન મંદિરમાં પોતાના મુક્તમંડળે સહિત બિરાજમાન થવાના હતા. પ્રતિષ્ઠા-મહોત્સવ ઉપક્રમે સમગ્ર ગોધરા શહેરના પાંચ વિસ્તારોમાંથી ભવ્ય છાબયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજી બામરોલી રોડ ખાતેથી ભવ્ય છાબયાત્રામાં લાભ આપવાના હતા. છાબયાત્રાનો સમય થતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી છાબયાત્રાના સ્થળે પધાર્યા. ગુરુવર્ય પ.પૂ. બાપજી માટે ‘સ્પૉટ’ તૈયાર હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્પૉટ ઉપર મૂકેલા સોફા ઉપર બિરાજમાન થયા. હજારોની સંખ્યામાં હરિભક્તો ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન માટે પધાર્યા હતા. એકાદ મિનિટ બાદ ગુરુવર્ય પ.પૂ. બાપજીની દૃષ્ટિ સોફાની બાજુમાં પધરાવેલા હરિકૃષ્ણ મહારાજ ઉપર ગઈ. ગુરુવર્ય પ.પૂ. બાપજીને મહારાજનું આસન અને પોતાનું આસન સમકક્ષ જણાયાં. ગુરુવર્ય પ.પૂ. બાપજી તરત જ ઊભા થઈ ગયા. જોડે રહેલા ગુરુવર્ય પ.પૂ. બાપજીના સેવક સંતે પૂછ્યું કે, “બાપા, કેમ ઊભા થઈ ગયા ? શું થયું ?” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “ઠાકોરજીનું આસન અને આ સોફો બે સરખા સ્થાને છે. માટે અમારાથી આમ ન બેસાય. અમે તો ઠાકોરજીના સેવક છીએ. માટે ઠાકોરજી તો ઊંચા આસને શોભે. ઠાકોરજીનું આસન ઊંચું કરો. અમે જે કાંઈ છીએ તે ઠાકોરજીને લઈને છીએ. વળી, આ શોભાયાત્રા ઠાકોરજીની નીકળી છે. તેમાં ઠાકોરજી ગૌણ થાય તે કેમ ચાલે ? અમારા ઠાકોરજી પહેલા. લાવો, ઠાકોરજી અમને આપી દો.” અવરભાવની વય-અવસ્થાને કારણે ગુરુવર્ય પ.પૂ. બાપજીને ઊભું રહી શકાતું નથી એટલે સેવક સંતે કહ્યું, “બાપા, આપ સોફા ઉપર બિરાજો. ઠાકોરજીનું આસન ઊંચું કરાવી દઈએ.” ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજી કહે, “નહિ, પહેલા ઠાકોરજીનું આસન ઊંચું કરો પછી જ અમારાથી બેસાશે.” સત્વરે વ્યવસ્થાપક મુક્તોએ ઠાકોરજીનાં આસનની યોગ્ય વ્યવસ્થા કર્યા બાદ પોતે આસન ઉપર બેઠા. ત્યાં સુધી ગુરુવર્ય પ.પૂ. બાપજી સ્પોટ પર ઊભા રહ્યા. વાહ ! દયાળુ, આપને ઠાકોરજીનું મુખ્યપણું, પ્રધાનપણું કેવું નિરંતર વર્તે છે ! હજારો એમ સમજે છે કે શોભાયાત્રામાં ગુરુવર્ય પ.પૂ. બાપજીનાં દર્શન થશે અને આપ એમ કહો છો કે શોભાયાત્રા ઠાકોરજીનાં દર્શન માટે નીકળી છે ! વાહ, કેવો આપનો સેવકભાવ ! અમારા જીવનમાં પણ આવું ઠાકોરજીનું પ્રધાનપણું અને સેવકભાવનો કલ્યાણકારી ગુણ આવે તેવી દયા કરો.

સૌપ્રથમ વખતના આફ્રિકા વિચરણથી મંદવાડ ગ્રહણ કરેલ તથા ગુરુવર્ય પ.પૂ. બાપજીના પ્રાગટ્ય દિનની પૂનમના વધારે સ્ટ્રેસ (થાક)ને લીધે તા. ૫ માર્ચથી ૧૫ માર્ચ દરમ્યાન વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ અવરભાવમાં મંદવાડલીલા ગ્રહણ કરી હોવાથી તેમને અપોલો હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યા હતા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને જમાડવા માટે સંતો દૂધના ઉપયોગથી બનાવેલ વાનગી હૉસ્પિટલમાં લઈ જતા. એ મુજબ તા. ૧૪ માર્ચના રોજ પણ સાંજે પૂ. સંતો પ.પૂ. સ્વામીશ્રી માટે દૂધના ઉપયોગથી બનાવેલી વાનગી લઈ ગયા. વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સંતોના પ્રેમને વશ થઈ ઠાકોરજી જમાડવા બિરાજિત થયા. ઠાકોરજી જમાડતાં જમાડતાં પ.પૂ. સ્વામીશ્રી અને સંતો વચ્ચે વાર્તાલાપ ચાલતો હતો. પ.પૂ. સ્વામીશ્રી સંતોને લાભ આપતા હતા. આજરોજ પ.પૂ. સ્વામીશ્રીને હૉસ્પિટલમાં ઍડમિટ થયે ઘણા દિવસો થઈ ગયા હતા. વળી, આવતી કાલે એટલે કે ૧૫મી તારીખે હૉસ્પિટલમાંથી રજા આપવાની ડૉક્ટરો સાથે ચર્ચા ચાલુ હતી એટલે પ.પૂ. સ્વામીશ્રીને જમવાનું પીરસતાં પીરસતાં એક સંતે પૂછ્યું કે, “દયાળુ, આવતીકાલે તો સ્વામિનારાયણ ધામ ઉપર આવવાનું થશે, નહીં ? સંતો, STKના મુક્તો ને ગુરુકુળના વિદ્યાર્થીમુક્તો બધાય આપનાં દર્શનની રાહ જોઈ રહ્યા છે.” ત્યારે જેમના જીવનમાં પળે પળે મહારાજનું મુખ્યપણું જોવા મળે છે એવા વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી જમાડતાં જમાડતાં તરત જ બોલ્યા, “મહારાજની ઇચ્છા હશે અને મહારાજ કાલે ધામ ઉપર લાવશે તો આવશું. આપણી ઇચ્છાથી ક્યાં કશુંય થાય છે ? મહારાજની ઇચ્છા મુજબ એ જેમ રાખે તેમ રહેવાનું ! મહારાજની ઇચ્છા હૉસ્પિટલમાં રહેવાની હોય તો હૉસ્પિટલમાં રહેવાનું ! સ્વામિનારાયણ ધામ ઉપર રાખવાની હોય તો ધામ ઉપર રહેવાનું ! બસ, મહારાજ જેમ રાખે તેમ રહેવાનું. એમાં આપણી કશી ઇચ્છા રાખવાની જ ના હોય. અરે, આપણો કોઈ સંકલ્પ પણ ન હોય. મહારાજ રાખે તેમ રહેવાનું.” ત્યારે બીજા સેવક સંતે કહ્યું, “દયાળુ, મંદવાડલીલાને હવે રજા આપો ને ! ઘણો સમય થઈ ગયો. આપ તો સ્વતંત્ર છો !” ત્યારે પ.પૂ. સ્વામીશ્રી કહે, “કહ્યું ને મહારાજની મરજીથી જુદો આપણે બીજો કોઈ જ સંકલ્પ ન કરાય. એમની ઇચ્છા અને મરજીમાં રહેવું એ જ તો આપણો ધર્મ છે. અને એ પ્રમાણે રહે એને જ સેવક કહેવાય. જો આપણે આપણી મરજી પ્રમાણે કરાવીએ તો આપણે સેવક શાના ? મહારાજ આપણા સ્વામી છે અને આપણે એમના સેવકો છીએ. અને સ્વામીની મરજીમાં રહેવું એ જ સેવકનો ધર્મ છે. માટે બીજો કોઈ સંકલ્પ નહિ કરવાનો.”

કેવું શ્રીજીમહારાજનું કર્તાપણું ! કેવી ઠાકોરજીની મરજીમાં જ રહેવાની તત્પરતા ! આવા અતિ મંદવાડમાં પણ એમને મહાપ્રભુની મરજીમાં જ રહેવાનો કેવો આગ્રહ ! આપણને તો આર્થિક, શારીરિક થોડી તકલીફ પડે તો પ્રાર્થના થઈ જાય, સંકલ્પો થઈ જાય. જ્યારે આપણને શીખવવા તેઓ કેવું જણાવે છે કે, “જેમ ઠાકોરજીની મરજી હોય એમ જ રહેવું તે સેવકનો ધર્મ !” વાહ દયાળુ વાહ !!!

આવા બંને દિવ્યપુરુષોના જીવનમાં જે કલ્યાણકારી ગુણોનું દર્શન થાય છે તેવા ગુણો આપણા જીવનમાં કેળવીએ તો એમના ગુણોના તથા સિદ્ધાંતોના વારસદાર બની શકાય.