આજે વિશ્વમાં સળગતા પ્રશ્નો છે. આતંકવાદ.. લૂટફાટ.. દગો... કપટ.. પ્રપંચ... ખૂન... બળાત્કાર... ભ્રષ્ટાચાર... વ્યસનો. આ તમામ પ્રશ્નોનું કાયમી નિવારણ એટલે સમાજના બીજ સમાન બાળકોને બાલ્યાવસ્થાથી જ અપાતા સંસ્કાર અને સંતો દ્વારા સુયોગ્ય ચારિત્ર્યઘડતર “કુમળા છોડને વાળીએ તેમ વળે” એ ન્યાયે સંસ્થા દ્વારા બાળમંડળોની સ્થાપના થઈ. આવાં બાળમંડળો દ્વારા વિવિધ બાળપ્રવૃત્તિનાં આયોજનો થતાં રહ્યાં છે. અહીં બાળપ્રાર્થના, સંવાદો, પ્રવચનો, પ્રેરણાપ્રસંગો, સાંસ્કૃતિક પોગ્રામો જેવાં આયોજનો દ્વારા તેમના સંસ્કારોનુ સિંચન અને જતન કરવામાં આવે છે.
એક કુશળ શિલ્પકાર જેમ પથ્થરનો નકામો ભાગ કાઢીને અંદર રહેલી મૂર્તિને બહાર લાવે છે તેવી જ રીતે SMVS, પ્રત્યેક કિશોરમાં પડેલી દિવ્યતા, મહાનતા અને અપાર શક્તિને બહાર પ્રગટાવવાનું કાર્ય કિશોર સભા, કિશોર શિબિરો દ્વારા કરે છે. આ કિશોરસભા દ્વારા પોતાના અને સમાજના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. કિશોર સભા, કિશોર શિબિર, કિશોર પ્રવાસ, સંપર્ક અભિયાન, સમૂહપૂજા, પ્રવચનો, સંવાદો, પ્રેરણાપ્રસંગો જેવી પ્રવૃત્તિ દ્વારા કિશોરોનું ઘડતર થતું રહે છે.
સમાજમાં પ્રમાણિકતા અને નીતિમત્તાનું સ્તર જ્યારે નીચું જઈ રહ્યું છે, ત્યારે તેની સાચવણી અને નિયમ-ધર્મયુક્ત, સિધ્ધાંતવાદી, દિવ્યજીવન જીવતો યુવા સમાજ તૈયાર કર્યો, ગુરુવર્ય પ.પૂ.બાપજીએ યુવક સભા દ્વારા.
પૂ.સંતોના સતત સાનિધ્યથી આ યુવક સભા અને યુવક શિબિરો દ્વારા સૈધ્ધાંતિક જીવોનું જતન થઈ રહ્યું છે. યુવકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ થઈ જેમ કે સંસ્કારયાત્રા, આત્મીય અભિયાન, દિવ્યજીવન શિબિરો, સંવાદો, પ્રેરણાપ્રસંગો, પ્રવચનો, પદયાત્રા... કહેવાય છે કે, સો શિક્ષકોની ગરજ એક “માતા” સારે એ ન્યાયે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓનું આગવું સ્થાન છે. તે વર્ગમાં પણ બાલિકા, યુવતી અને મહિલાઓ માટેની આવી જ સંસ્કારલક્ષી પ્રવૃત્તિઓ ચાલે છે.
|