શિક્ષાપત્રી મહિમા

 

  • આકાશમાં પડેલી તિરાડ સમ દીસતી કે પછી આકાશમાં લિસોટા વેરતી ચમકીલી વીજળી એ બીજું કશું નહિ પણ પ્રભુની સહી (Signature) છે. પ્રભુના હસ્તાક્ષર છે. જોકે આ નરી કલ્પનામાત્ર છે. જે સુંદર જરૂર છે. પણ વાસ્તવિકતા નથી !
  • સ્વયં પ્રભુના હસ્તાક્ષરે લખાયેલ કોઈ ચીજ મળી જાય તો ? તો એ જરૂર શિક્ષાપત્રી જ હશે !
  • સંવત ૧૮૮૨ના મહા સુદ પાંચમ (વસંતપંચમી)ના દિવસે લખાયેલ શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ મહાપ્રભુના સ્વહસ્તે થયેલું સર્જન છે. “लिखामी सहजानंद स्वामी” (શિક્ષાપત્રી શ્લોક-૨)
  • સ્વામિનારાયણ મહાપ્રભુના સ્વહસ્ત લિખિત અને સ્વમુખવાણી એમ બે ધર્મગ્રંથ અનુક્રમે શિક્ષાપત્રી અને વચનામૃત પ્રાપ્ત થયા છે. તેમાં શિક્ષાપત્રીને માત્ર સાંપ્રદાયિક ન રહેવા દેતાં એને સર્વજીવહિતાવહી બનાવી છે. અને Mind, Body એ Soul એ ત્રણથી જ માત્ર મનુષ્ય ન કહેવાય. તેમાં ધર્મતત્ત્વ અને ધાર્મિક આચારસંહિતા ભળે ત્યારે જ પશુ કરતાં મનુષ્ય જુદો પડી જાય છે. શિક્ષાપત્રી એ સાંસારિક શાણપણ વધારતી અને અધ્યાત્મનાં ઉચ્ચ શિખરો દેખાડતી, અદ્‌ભુત માર્ગપત્રી છે ત્યારે, આજે જરા થોડું એના વિષે જાણીએ.
  • ૧૮૪ વર્ષ પૂર્વે લખાયેલ ટચૂકડા એવા ધર્મગ્રંથ શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ મહાપ્રભુએ એવા તે કેવા હસ્તાક્ષર પાડ્યા છે કે તેને અનુસરતો અનુયાયી વર્ગ, સમાજના તમામ ક્ષેત્રે ઉન્નત મસ્તકે, સુખ અને સમૃધ્ધિથી લચકતું અને ગૌરવવંતુ ભર્યુંભાદર્યું, આદરણીય સ્થાન પામે છે ?
  • લોકો પણ એવું કહેતા હોય છે કે, સ્વામિનારાયણ ધર્મ પાળનાર સુખી બહુ હોય છે. એક ભાઈએ કહ્યું કે, રીચ (Rich-સુખી) લોકો જ સ્વામિનારાયણ ધર્મ પાળે છે. ત્યારે વાસ્તવમાં કહ્યું એવું નથી. જે લોકો સ્વામિનારાયણ ધર્મ પાળે છે તે રીચ (સુખી-સમૃદ્ધ) બની જાય છે. તેનું શ્રેય શિક્ષાપત્રીમાં પ્રબોધેલ સ્વામિનારાયણ મહાપ્રભુની આજ્ઞાઓ છે.
  • ઘણું કરીને ધર્મગ્રંથો જોઈશું તો તેમાં લખેલી વાતો કે નિયમો જે તે સમયે, સ્થળે દેશકાળને આનુષંગિક પ્રબોધાયેલ હોય છે. જે તે સમયે તે બરાબર હશે પણ પછી સમયનું પરિવર્તન થતાં કે દેશકાળ બદલાતા કે યુગ બદલાતાં તે વાતો કે નિયમો તે યથોચિત ન પણ જણાય કે વર્તમાન સંદર્ભે તે અયોગ્ય પણ હોઈ શકે કે પછી સમયોચિત ન ગણાતા હોય એવું પણ બનતું આવ્યું છે.
  • ૧૮મી સદીમાં લખાયેલ શિક્ષાપત્રી એ તે સમયના દેશકાળે સુસંગત કે સ્તુત્ય હતી એટલી જ આજે ૨૧મી સદીમાં આ શિક્ષાપત્રી એટલી કે બલ્કે તેથી વધારે સુસંગત-આનુષંગિક કે સ્તુત્ય લાગી રહી છે. અને એટલે જ શિક્ષાપત્રીને ત્રિકાળાબાધિત ગ્રંથ કહ્યો છે. શિક્ષાપત્રી ક્યારેય out of date હતી નહિ કે છે પણ નહીં. માટે શિક્ષાપત્રીની કોઈ expiry date નથી એવું કહી શકાય.
  • શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયની આચારસંહિતા છે. જોકે એ માત્ર code of conduct નથી. તેમાં ધર્મ-અર્થ-કામ અને મોક્ષને પણ મૂકેલા છે. શ્રીજીમહારાજે પોતાના આશ્રિતો તરીકે આચાર્ય, બ્રહ્મચારી, સાધુ, હરિભક્તો, સુવાસિની તથા વિધવા બાઈઓને ગણાવ્યાં છે. (શિ.શ્લો-૩, ૪, ૫) તે તમામે આ શિક્ષાપત્રી પ્રમાણે સાવધાનપણે પ્રીતિપૂર્વક પાળવાનું કહ્યું છે. મોંઘો મનુષ્યજન્મ મળ્યો છે એનો ઉપયોગ કેમ કરવો ? તે ફોગટમાં વેડફાઈ ન જાય એટલા માટે કેવું જીવન જીવવું ? કેવી રીતે વર્તવું ? તેની અદ્‌ભુત રીત શિખવાડતી આ શિક્ષાપત્રી છે. તેથી એને manual of mankind પણ કહી શકાય. આપણે મોબાઈલ ફોન, કમ્પ્યૂટર, ડીવીડી કે ટી.વી. ખરીદીએ છીએ તેની સાથે તેનું મેન્યુઅલ કાર્ડ પણ આપતા હોય છે. જેથી કરીને તેનો ઉપયોગ કેમ કરવો એ સરળતાથી ખબર પડે છે. એમ મોંઘા મનુષ્યજન્મનું મેન્યુઅલ કાર્ડ કોઈ ખરું ? તેનો ઉપયોગ કેમ કરવો એની કોઈ માહિતી ખરી ?
  • શિક્ષાપત્રી એ મનુષ્યજન્મનું manual card છે. જે મનુષ્યજીવન જીવવાની-સંસારમાં સુખે રહેવાની રીત બતાવે છે.
  • શિક્ષાપત્રી એટલે શિખામણની પત્રી, does and don’t, શું કરવું અને શું ન કરવું એ શિખવાડે છે. આપણે ભૌતિક નિયમો પાળીએ છીએ, કાયદાને માન આપીએ છીએ, ગાડી ડ્રાઇવિંગ કરીએ તો એના નિયમ અનુસાર ચલાવવી પડે છે. સ્કૂલમાં કે કોઈ કંપનીના પણ ચોક્કસ નિયમો હોય છે. તેનો ફરજિયાતપણે અમલ કરવો પડે. અથવા તો તેણે દંડ સહન કરવા તૈયાર રહેવું પડે. તો પછી શિક્ષાપત્રીમાં સ્વયં પ્રભુએ નિયમો બાંધેલા છે. દરેક વર્ગના ચોક્કસ નિયમો કરી દીધા છે. આચાર્ય, બ્રહ્મચારી, સાધુ, હરિભક્તો, સુવાસિની અને વિધવા બાઈઓ દરેકના આગવા નિયમો આપેલા છે.

તે પ્રમાણે અમલ કરવાનું પણ શ્રીજીમહારાજે કહ્યું છે.

“તે માટે અમારા શિષ્ય એવા જે તમે સર્વે તેમણે તો પ્રીતિએ કરીને આ શિક્ષાપત્રીને અનુસરીને જ નિરંતર સાવધાનપણે વર્તવું પણ આ શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તવું નહીં.

- શિ.શ્લોક-૧૦

  • લૌકિક નિયમનો ભંગ થાય તો દંડ થાય, તો પછી શિક્ષાપત્રીના નિયમનો ભંગ થાય તો મહારાજ દંડ ન કરે ? કરે જ...!
  • શિક્ષાપત્રીમાં કેટલાક સાધારણ ધર્મ અને વિશેષ ધર્મ કહ્યા છે. તેમાં સત્સંગીની દૈનિક ક્રિયાઓ તેમજ આચાર્યના, એમની પત્નીઓના, ગૃહસ્થના, રાજાના, સધવા-વિધવા સ્ત્રીઓના, બ્રહ્મચારીના, સાધુના નિયમોનું નિરૂપણ કરેલ છે. તે વિસરી ન જવાય એટલે શિક્ષાપત્રી નિત્ય પ્રત્યે ફરજિયાત વાંચવાની આજ્ઞા કરી.

“અમારી લખેલી જે શિક્ષાપત્રી તેનો પાઠ અમારા આશ્રિત ત્યાગી સાધુ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ બાઈ-ભાઈ સર્વે તેમણે નિત્યે કરવો અને જેને ભણતાં ન આવડતું હોય તેને નિત્યે શ્રવણ કરવું અને જેને શ્રવણ કરવાનો યોગ ન આવે તેને નિત્યે શિક્ષાપત્રીની પૂજા કરવી એવી રીતે અમે શિક્ષાપત્રીમાં લખ્યું છે. માટે એ ત્રણમાંથી જેને ફેર પડે તેને એક ઉપવાસ કરવો, એમ અમારી આજ્ઞા છે.” એવી રીતની જે શ્રીજીમહારાજની આજ્ઞા તેને પાળવાનો નિયમ સર્વેએ ધાર્યો, જે હે મહારાજ ! જેમ તમે કહો છો તેમ અમે સર્વે પાળીશું. તેને સાંભળીને શ્રીજીમહારાજ અતિશે પ્રસન્ન થઈને સર્વે સાધુને ને સર્વે બ્રહ્મચારીને મળતા હવા અને સર્વે સત્સંગીના હૃદયને વિષે, પોતાના ચરણારવિંદ આપતા હવા.

- ગઢડા છેલ્લાનું ૧લું વચનામૃત

શિક્ષાપત્રીમાં દરેક વર્ગના નિયમો બતાવ્યા છે ને દરેક વર્ગને નિત્ય વાંચવાનું કહ્યું છે. ખરેખર તો જે વર્ગને જે નિયમો લાગુ પડતા હોય અથવા જે આશ્રમમાં પોતે રહ્યા હોય તે જ નિયમો વાંચવા તેમને યોગ્ય છે. બીજાના નિયમો શું કામ વાંચવા ? શિક્ષાપત્રીમાં તમામ વર્ગના નિયમો દર્શાવી-તમામના ધર્મને ખુલ્લા મૂકી દીધા છે. તે તમામ વર્ગ એકબીજાના ધર્મ વાંચી શકે કે જેથી એકબીજાના ધર્મની ખબર હોય તો તે પ્રમાણે વર્તે છે કે કેમ તેની ખબર પડે અને એકબીજાને ટકોર થાય. એ રીતે શિક્ષાપત્રીને એક Open Book કહી શકાય. પોતાના આશ્રિતોના વર્તનમાં શુદ્ધતા જળવાઈ રહે અને ભક્તનું જીવન પારદર્શી બને તે હેતુથી શિક્ષાપત્રીને શ્રીજીમહારાજે જનસમૂહ સમક્ષ ખુલ્લી મૂકી દીધી છે.

વળી શિક્ષાપત્રીને એકાગ્ર મને કરીને ધારવી એમ કહ્યું છે. તે હેતુપૂર્વક કહ્યું છે. શિક્ષાપત્રીના શ્લોકો દ્વિઅર્થી છે. જેના દરેક શ્લોકમાં પરોક્ષાર્થ અને પ્રત્યક્ષાર્થ રહેલો છે. કેટલાક શ્લોકનો જો બેઠો જ ઉતારો કરવામાં આવે તો થાપ ખાઈ જવાનો પૂરો સંભવ છે. એટલે શિક્ષાપત્રી માત્ર વાંચીને પાળવી એવું નહિ, પણ તેનો પ્રત્યક્ષાર્થ સમજીને પાળવી તો જ શ્રીજીમહારાજની પ્રસન્નતા થાય. શિક્ષાપત્રીમાં પ્રબોધેલ સાધારણ ધર્મ તથા વિશેષ ધર્મના શ્લોક આ મુજબ છે.

સાધારણ ધર્મના શિ. શ્લોક ૧૧થી ૧૨૧ સુધી જ્યારે વિશેષ ધર્મમાં નીચે પ્રમાણેના શ્લોકોનો સમાવેશ કરવામાં આવેલ છે.

આચાર્યશ્રીના              ------ (શિ.શ્લો. ૧૨૩થી ૧૩૨)

આચાર્ય પત્નીના              ------            (શિ.શ્લો. ૧૩૩થી ૧૩૪)

ગૃહસ્થના              ------            (શિ.શ્લો. ૧૩૫થી ૧૫૪)

ધનાઢ્ય ગૃહસ્થના              ------            (શિ.શ્લો. ૧૫૫થી ૧૫૬)

રાજાના              ------ (શિ.શ્લો. ૧૫૭થી ૧૫૮)

સધવા સ્ત્રીઓના              ------     (શિ.શ્લો. ૧૫૯થી ૧૬૨)

વિધવા સ્ત્રીઓના               ------            (શિ.શ્લો. ૧૬૩થી ૧૭૨)

સધવા-વિધવાના સંયુક્ત         ------ (શિ.શ્લો. ૧૭૩થી ૧૭૪)

નૈષ્ઠિકવર્ણીના               ------            (શિ.શ્લો. ૧૭૫થી ૧૮૭)

સાધુના               ------            (શિ.શ્લો. ૧૮૮થી ૧૯૬)

    નૈષ્ઠિકવર્ણી ને સાધુના સંયુક્ત     ------ (શિ.શ્લો. ૧૯૭થી ૨૦૨)

  • શિક્ષાપત્રી એ શ્રીજીમહારાજનું વાઙ્મય સ્વરૂપ છે. શિક્ષાપત્રી એ શિક્ષા કરતી પત્રી એટલે કે દંડપત્રી નથી. જ્યારે કેટલાંક શાસ્ત્રોમાં જો આવું કરવામાં કે તેમ કરવામાં ભૂલ્ય થાય તો કુંભિપાક નરકમાં જશે, રૌરવનરકમાં પડશે એવું કહી જીવોને ગભરાવી નાખતા હોય છે. શ્રીજીમહારાજે પોતાના આશ્રિતને પ્રેમે કરીને, જેમ હોશિયાર ડૉક્ટર તેના દર્દીને પ્રેમથી વાત કરતાં કરતાં કડવી દવા કે ઇન્જેક્શન આપી દે અને દર્દીને ખબર ન પડે એવી રીતે મહારાજે આશ્રિતોને કઠણ ન પડે તેમ સહજપૂર્વક વાત કહી દીધી છે. જેમ મા પોતાની દીકરીને સાસરે વળાવે ત્યારે બરડે હાથ ફેરવતાં ફેરવતાં પ્રેમથી શિખામણ આપતી હોય છે કે, જોજે બેટા, સાસરે આમ કરજે અને તેમ ન કરીશ, કેમ બેસવું, કેમ ઊઠવું, કોની સાથે કેવું વર્તન દાખવવું એવું શીખવે છે. તેમ શ્રીજીમહારાજે પણ પોતાના આશ્રિતોને ખરો હાથ ફેરવતાં ફેરવતાં શિખામણ આપી છે. એટલે શિક્ષાપત્રી એ પ્રેમપત્રી છે પણ દંડપત્રી નથી.
  • શિક્ષાપત્રી દ્વારા શ્રીજીમહારાજે જીવનના આ લોક તથા પરલોકસંબંધી સર્વાંગી વિકાસ માટે કેવી અણમોલ ભેટ આપી દીધી !?
  • શિક્ષાપત્રી એક પ્રકારની આજ્ઞાપત્રી છે. તે દ્વારા સામાજિક, આર્થિક અને આધ્યાત્મિક  ઊર્ધ્વીકરણનો પાયો નખાયો છે અને યાવદ્‌ચંદ્રદિવાકરૌ તેની ઉપર ધર્મની ઇમારત વધુ ને વધુ મજબૂત ચણી શકાશે.
  • ધર્મની વ્યાખ્યાનું વાસ્તવિક નિરૂપણ શું છે ? તેમાં શ્રીજીમહારાજનો અભિપ્રાય કેવો છે ? તે પદ્યમાં સમજીએ તો :

“ધર્મ ધર્મ તો સહુ કહે, પણ ધર્મમાં ઘણો મર્મ છે;

પ્રગટ પ્રભુનાં વચન માનો, એ જ ખરો ધર્મ છે.”

  • સ્વામિનારાયણ સંપ્રદાયમાં આજ્ઞા અને ઉપાસના બે પાયા છે. આજ્ઞા એટલે નિયમ-ધર્મ અને ઉપાસના એટલે નિષ્ઠા. આમ, એ બંનેની દૃઢતા વિનાનો સંતો-હરિભક્તોનો સમાજ એ પોલો સમાજ છે, ખોખલો સમાજ છે.
  • સ્વામિનારાયણ સંપ્રદાય વર્તનના સંપ્રદાય તરીકે પ્રખ્યાત છે, નહિ કે વાતોના. શ્રીજીમહારાજના વખતના ૩૦૦૦ સંતો ઉત્કૃષ્ટ વર્તનના પૂજારીઓ હતા. તેમનો વર્તનશીલ ઉપદેશ પરિવર્તનને વેગવંતો બનાવતો.
  • વળી, એસ.એમ.વી.એસ.ના આદ્ય સ્થાપક વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીનું જીવનસૂત્ર અદ્યાપિપર્યંત યથાવત્‌ છે, “સિદ્ધાંતમાં સમાધાન નહિ અને નિયમ-ધર્મમાં છૂટછાટ નહીં.” તેમણે પોતે વર્તીને ને પોતાના જોગમાં આવનારને વર્તાવીને શ્રીજીમહારાજનો રાજીપો અપાવ્યો છે અને અપાવતા રહ્યા છે.

વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી કાયમ કહેતા હોય છે કે, “આજ્ઞા કેવી છે તે મહત્ત્વનું નથી પરંતુ આજ્ઞા કરનાર કોણ છે તે મહત્ત્વનું છે.”

નિયમપાલનથી નીચેના લાભો જોવા અને અનુભવવા મળે છે :

(૧) વિશ્વાસ આવે :

વ્યવહારિક તથા આધ્યાત્મિક માર્ગમાં જે ધર્મ-નિયમનું પાલન કરતા હોય તેનો ભાર પડે છે તેમજ હરિભક્તોને તથા લોકોને તેમનો વિશ્વાસ આવે છે. અગાઉના વખતમાં લુણાવાડાના કાશીરામભાઈ પ્રૉફેસર તથા બોટાદના શિવલાલ શેઠ આવાં અનુકરણીય પાત્રો હતા.

(૨) ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટે છે :

પરમેશ્વરે ત્યાગી તથા ગૃહસ્થના જે નિયમ બાંધ્યા છે તેમાં સર્વે ઇન્દ્રિયોને મરડીને રાખે તો સહેજે જ તેની તીક્ષ્ણતા મટી જાય છે. જ્યારે પંચે ઇન્દ્રિયોને કુમાર્ગે ન જવા દે ત્યારે તે શુદ્ધ થાય છે, તે કેડ્યે અંતઃકરણ પણ શુદ્ધ થાય છે ને તેથી ભગવાનની સ્મૃતિ સહેજે રહે છે.

(૩) પંચવિષય જિતાય છે :

ગઢડા મધ્યના ૧૬મા વચનામૃતમાં જણાવ્યું છે કે, “વૈરાગ્યનું બળ હોય અથવા ન હોય તોપણ જો ઇન્દ્રિયોને વશ કરીને પરમેશ્વરના નિયમમાં રાખે તો જેમ વૈરાગ્યે કરીને વિષય જિતાય છે તે થકી પણ તે નિયમવાળાને વિશેષે વિષય જિતાય છે માટે પરમેશ્વરના બાંધેલા જે નિયમ તેને અતિ દૃઢ કરીને પાળવા.”

(૪) ભગવાનનો આનંદ પામાય :

“(આ જીવ) પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડોઅવળો ડોલે છે ત્યારે ક્લેશને પામે છે, અને જો વચનને વિષે રહે તો જેવો ભગવાનનો આનંદ છે તેવા આનંદમાં રહે છે.”

- ગઢડા પ્રથમનું ૩૪મું વચનામૃત

  • શ્રીહરિની ને મોટાની અનુજ્ઞામાં રહેવાથી એનું ફળ અતિશે રૂડું હોય છે, તેની વાત સ્વયં શ્રીહરિએ ‘વચનામૃત’ ગ્રંથમાં તેમજ જીવનપ્રાણ બાપાશ્રીએ ‘બાપાશ્રીની વાતો’માં કરી છે.

“કેમ જે એ ભગવાનની આજ્ઞા પાળે તો તેની ઉપર ભગવાન રાજી થાય છે.”

- ગઢડા પ્રથમનું ૨૫મું વચનામૃત

“મોટ્યપ તો પ્રત્યક્ષ ભગવાનના નિશ્ચયે કરીને તથા ભગવાનની આજ્ઞાને વિષે વર્તવે કરીને છે ને એ બે વાનાં જેને ન હોય, ને તે ગમે તેવો વ્યવહારે કરીને મોટો હોય તોપણ નાનો જ છે.”

- ગઢડા પ્રથમનું ૩૧મું વચનામૃત

“પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ ને તેમાં કોઈ ખોટ્ય આવવા દઈએ નહિ, તો ભગવાન ને ભગવાનના સંત પ્રસન્ન થાય છે, એમાં લેશમાત્ર સંશય નહીં.”                    

- ગઢડા પ્રથમનું ૭૮મું વચનામૃત

“જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું-મોટું વચન લોપી શકે નહિ, એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપત્કાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહિ, માટે જેને વચનમાં દૃઢતા છે તેનો જ ધર્મ દૃઢ રહે અને તેનો જ સત્સંગ પણ દૃઢ રહે.”              

- ગઢડા પ્રથમનું ૫૪મું વચનામૃત

“જે પંચવર્તમાનની આજ્ઞા ન પાળતા હોય તેની સેવા તો નિરર્થક છે. કેમ જે એને મહાપ્રભુનો સંબંધ નથી માટે એ સેવા શ્રીજીમહારાજને પહોંચતી નથી. જે આજ્ઞા પાળે છે તેની સેવા કરે તો મહારાજ તેમાં રહીને અંગીકાર કરે છે.”

      - બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૭૪

“જેમ રાજાનો મહિમા જાણે છે તો આજ્ઞા પળે છે તેમ શ્રીજીનો અને મોટાનો મહિમા જાણે તો આજ્ઞા પળે અને લૂખાપણું ટળે.”

- બાપાશ્રીની વાતો : ભાગ-૧, વાર્તા-૧૫૨

૨. શિક્ષાપત્રી ગ્રંથની સર્વોત્કૃષ્ટતા

 

“તત્કાલીન સમાજ એવી સંસ્કારહીન દિશામાં ધકેલાઈ ગયો હતો કે, એને ક્યાં થૂંકવું અને ક્યાં ન થૂંકવું એવા સામાન્ય આચારની પા પા પગલીઓ પાડી પગ માંડતાં શીખવવું પડે તેમ હતું. અને સ્વામિનારાયણ ભગવાને તે કાર્ય જીવનમાર્ગદર્શિકા શિક્ષાપત્રી આપીને કર્યું. હિંસા, ચોરી, અસત્ય, વ્યભિચાર, જુગાર વગેરેની ગંદકીમાંથી કૂદીને બહાર નીકળવાનું જોમ માનવીને આ શિક્ષાપત્રી દ્વારા આપ્યું. સ્વધર્મની કર્તવ્યતા જીવનમાં દૃઢ કરાવી. નિયમોની પાછળ રક્ષાયેલ સ્વધર્મપાલનનો એવો સાફ માર્ગ બનાવી આપ્યો કે ક્યાંય ઠોકર ન વાગે. એને ઉપર સડસડાટ ચાલતો માણસ આધ્યાત્મિક શિખરને આંબી શકે.”   - ઈશ્વર પેટલીકર

“કાદવ-કર્દમવન્તા જીવનને, સંસારને, અંતરને નિર્મળ કરતી નિર્મળીના શોધનારે શિક્ષાપત્રી સેવવા-વિચારવાની છે. શિક્ષાપત્રી એટલે વ્યવહાર ને સંસારને પરિશુદ્ધતી નિત્ય નિયમાવલિ.”                - કવિવર ન્હાનાલાલ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ જેવા અગ્રગણ્ય રાજકીય નેતાએ પણ જાહેરમાં કહ્યું હતું કે, “દેશના લોકો શિક્ષાપત્રીની આજ્ઞાઓનું પાલન કરે તો દેશમાં ફોજદારી કાયદો, પોલીસ અને અદાલતોની ઓછામાં ઓછી જરૂર પડે.”

અને એટલા માટે જ શ્રીહરિએ શિક્ષાપત્રી એવી સુંદર રીતે રચી છે કે તેના ૨૧૨ શ્લોકોમાં ‘આઈ.પી.સી.’ની ૫૧૧ કલમોનો સમાવેશ થઈ જાય છે. જે વ્યક્તિ શિક્ષાપત્રી મુજબ વર્તે તેને ફોજદારી કોર્ટમાં તહોમતદાર તરીકે જવું ન પડે.

આ ‘IPC’ની ૫૧૧ કલમોને સમાવેશ શિક્ષાપત્રીમાં કેવી રીતે થાય છે તેની રૂપરેખા નીચે મુજબ છે. (‘IPC’ની કલમની શરૂઆત ૧૦૭થી થાય છે.)

IPCની કલમ

શિક્ષાપત્રી શ્લોક નંબર

ગુન્હાઓનો ટૂંકમાં પ્રકાર

   ૧૦૭ થી ૧૨૦

૨૭

ગુન્હાઓમાં મદદ ન કરે.

૧૨૧ થી ૧૪૦

   ૩૪

રાજ્ય વિરુદ્ધના ગુન્હા ન કરે.

૧૪૧ થી ૧૬૦

૨૦૧

તકરાર, બખેડો, હુલ્લડ ન કરે.

૧૬૧ થી ૧૭૧ I

૨૬

વ્યવહારમાં લાંચ ન લે.

૧૭૨ થી ૨૬૩ A

૩૪

રાજાના માણસ કે રાજાના ધર્મ વિરુદ્ધ, કાયદા વિરુદ્ધ ન જાય.

૨૬૪ થી ૨૬૭

૧૫૨

મજૂર વગેરેને ધન, ધાન્ય દીધાનું કહ્યું હોય તેટલું

જ આપે, ઓછું ન આપે એટલે જોખવામાં ઓછું ન આપે.

૨૬૮ થી ૨૭૮

૩૨

લોકોની તંદુરસ્તીને નુકસાન કરે તેમ જાહેર જગ્યાએ થૂંકી, મળમૂત્ર કરી ગંદકી ન કરે.

૨૭૯ થી ૨૯૪ A

૩૬

વિચાર્યા વિના તત્કાળ કોઈ ઉતાવળનું નુકસાનકારક કાર્ય ન કરે.

૨૯૫ થી ૨૯૮

૮૪,૨૧,૨૩,૨૫,૨૯

કોઈ પણ ધર્મની નિંદા તેમજ નુકસાન ન કરે.

૨૯૯ થી ૩૦૪ A

૧૧,૧૩

મનુષ્યની હિંસા ન કરે.

૩૦૫ થી ૩૧૧

૧૪

આત્મઘાત ન કરે.

૩૧૨ થી ૩૧૮

૧૧,૧૩

નાના જન્મેલા, ન જન્મેલા જીવ-પ્રાણીમાત્રની હિંસા ન કરે.

૩૧૯ થી ૩૫૮

૧૧,૧૩

કોઈને ઈજા ન કરે, તેમજ હુમલો ન કરે તેમજ કોઈને ખોટી રીતે રોકી હેરાન ન કરે એટલે હિંસા ન કરે.

   ૩૫૯ થી ૩૭૭

૧૮

અપહરણ, વ્યભિચાર, બળાત્કાર ન કરે.

૩૭૮ થી ૪૦૪

૧૭

ચોરી, લૂંટ ન કરે.

૪૦૫ થી ૪૦૯

૩૭

વિશ્વાસઘાત ન કરે.

૪૧૦ થી ૪૧૪

૧૭

ચોરીનો માલ પણ ન રાખે.

૪૧૫ થી ૪૨૪

૩૭

વિશ્વાસઘાત કરી છેતરે નહીં.

૪૨૫ થી ૪૪૦

૭૫

જે જીવનું જેવી રીતે સન્માન કરવું ઘટતું હોય તેનું તેવી રીતે સન્માન કરે એટલે તેની સાથે તોફાન ન કરે.

૪૪૧ થી ૪૬૨

૩૩

જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના દાખલ ન થાય.

૪૬૩ થી ૪૮૯ D

૧૪૩,૧૪૬

લખાણમાં તેમજ વ્યવહારમાં ખોટું કાર્ય ન કરે.

૪૯૦ થી ૪૯૨

૧૩૯

માતા, પિતા, ગુરુ, રોગાતુર એવો જે કોઈ મનુષ્ય જેને આપણે કાયદેસર પાળવાના હોય તેને તરછોડી કાઢી ન મૂકે.

૪૯૩ થી ૪૯૮

૧૮

વ્યભિચાર ન કરે.

૪૯૯ થી ૫૦૯

૨૦

કોઈને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરે, બદનક્ષી ન કરે.

૫૧૦

૧૫

દારૂ પી જાહેર જગ્યાએ તોફાન ન કરે.

૫૧૧

૧૭

ગુન્હાઓ કરનારની સોબત ન કરે તેમજ ગુન્હા ન કરે.

 

આમ, શિક્ષાપત્રી છે નાની, દેખાય છે નાની પણ જાણે ગાગરમાં આખો સાગર. એટલે જ કહેવાય છે ને કે, “શિક્ષાપત્રી એટલે ગાગરમાં સાગર.”

સંપ્રદાય ઉપાસના અને નિયમ-ધર્મની દૃઢતાવાળો બને તે માટે નિયમોની વાડ શ્રીજીમહારાજે શિક્ષાપત્રીમાં બાંધી આપી છે.

“શિક્ષાપત્રી સર્વ શાસ્ત્રોના દોહનરૂપ કલ્યાણની સીડી છે. તેનો ઉપલો છેડો આધ્યાત્મિક શ્રેયની સર્વોચ્ચ ભૂમિકાને લાગેલો છે. ત્યારે નીચલો છેડો છેક સામાન્ય લોકજીવનની ભૂમિકા ઉપર ઠેરવેલો છે. તે બંને છેડા વચ્ચે ઉચ્ચ આદર્શને લક્ષમાં રાખીને વ્યવહારુ રીતે ચડી શકાય તેવા સરલ પણ દૃઢ પગથિયાં ગોઠવેલાં છે.”

- ત્રિભુવન વ્યાસ

૩.શિક્ષાપત્રી વિષે જાણવા જેવું અવનવું

  • શિક્ષાપત્રી ૧૨ ફેબ્રુઆરી રવિવારે ઈ.સ. ૧૮૨૬ના દિવસે વડતાલ વિષે બપોરે ૧૧:૦૦ કલાકે લખવાની શરૂ કરી.
  • ઈ.સ. ૧૮૨૩માં શિક્ષાપત્રી ૧૪૯ શ્લોકની હતી. જે ઈ.સ. ૧૮૨૬માં ૨૧૨ શ્લોકની બની.
  • શિક્ષાપત્રી સંસ્કૃત ભાષામાં રચાઈ. સદ્‌. નિત્યાનંદ સ્વામીએ તેનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું ને શતાનંદ મુનિએ સત્સંગી જીવનના ૪થા પ્રકરણમાં મૂકી.
  • આઠેય દિશામાં રહેતા પોતાના આશ્રિતોને એક એક આપવા માટે શિક્ષાપત્રીની સર્વ પ્રથમ ૮ પ્રત બહાર પડી. તેમાંની એક પ્રત સર માલ્કમને રાજકોટ ખાતે ૨૬ ફેબ્રુઆરી ૧૮૩૦ના દિવસે આપેલી.
  • શ્લોક ૧ પ્રથમ મંગલાચરણ, શ્લોક ૧૦૮ મધ્ય મંગલાચરણ અને શ્લોક ૨૦૯ એ અંત્ય મંગલાચરણ ગણાય છે.
  • શિક્ષાપત્રી એ શ્રીજીમહારાજનું વાઙમય સ્વરૂપ છે.
  • શિક્ષાપત્રીના ૨૧૨ શ્લોકમાં હિન્દુસ્તાનના ફોજદારી કાયદાની ૫૧૧ કલમોનો સમાવેશ થઈ જાય છે. જે વ્યક્તિ શિક્ષાપત્રી મુજબ વર્તે તો ઇન્ડિયન પિનલ કોડની કોઈ કલમનો ભંગ કરતો નથી.
  • શિક્ષાપત્રીમાં હકારાત્મક અને આમ ન કરવું એવું નકારાત્મક મળીને કુલ ૬૪૨ વાક્યો - આજ્ઞાઓ જોવા મળે છે.
  • શિક્ષાપત્રીમાં લેખક તરીકે સહજાનંદ સ્વામી નામનો ઉપયોગ કર્યો છે. આખી શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ નામ ક્યાંય આવતું નથી પણ પોતાનું અનાદિશ્રીકૃષ્ણ એવા નામનો ઉલ્લેખ ૩૬ વખત કરવામાં આવ્યો છે.
  • શિક્ષાપત્રી ત્રિકાળાબાધિત છે. Out of dated નથી.
  • સર્વોપરી પ્રભુના સ્વહસ્તે લખાયેલ એકમાત્ર ગ્રંથ એટલે શિક્ષાપત્રી.
  • શિક્ષાપત્રીને બનારસ હિન્દી યુનિવર્સિટીમાં પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે.
  • શિક્ષાપત્રીનું દેશની કુલ ૧૦ ભાષામાં ભાષાંતર થયેલું જોવા મળે છે. જેવી કે, બંગાળી, ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, તમીલ, તેલુગુ, ઉડીયા, ઉર્દુ અને વ્રજ ભાષા.
  • દેશની દસ અને વિદેશની ૧૯ એમ કુલ મળી ૨૯ જેટલી ભાષાઓમાં તેનું ભાષાંતર થયેલું જોવા મળે છે. વિદેશની ભાષાઓમાં આફ્રિકન, અરેબિક, ચાઈનીઝ, ડચ, અંગ્રેજી, ફીનીશ, ફ્રેંચ, જર્મન, ઈટાલીયન, હિબ્રુ, નોર્થ સોથો, પોર્ટુગીજ, રશિયન, સ્પેનીશ, સાઉથ સોથો, સ્વાહિલી, કોશી અને ઝૂલુ.
  • સદ્‌. ગોપાળાનંદ સ્વામીએ મરાઠી ભાષામાં શિક્ષાપત્રી લખી છે.
  • સદ્‌. મુક્તાનંદ સ્વામીએ હિન્દી ગદ્ય ને પદ્યમાં લખેલી છે.
  • સદ્‌. નિષ્કુળાનંદ સ્વામીએ પદ્ય ચોપાઈમાં લખી છે.
  • સદ્‌. બ્રહ્માનંદ સ્વામીએ ચારણી પદ્ય ને ગરબીમાં લખી છે.
  • સદ્‌. પ્રેમાનંદ સ્વામીએ પદ્ય હિન્દીમાં ને અવધિ ભાષામાં લખી છે.
  • શ્રીજીમહારાજે સર માલ્કમને ભેટમાં આપેલી શિક્ષાપત્રી બોડલેયન લાઈબ્રેરીમાં સચવાયેલી છે. તેની સાઈઝ ૫”x૩।।” છે. તેનાં ૧૬૬ પાનાં છે. દરેક પાનાં પર છ લીટીમાં સંસ્કૃત લખાણ છે. અને પાંચ પાનાં કોરાં છે.
  • શિક્ષાપત્રી પર અન્ય ગ્રંથો જોવા મળે છે. શનાનંદ મુનિએ શિક્ષાપત્રી ભાષ્ય કર્યું છે. મુનિસ્વામીએ શિક્ષાપત્રી રહસ્યાર્થમાં પ્રત્યેક શ્લોકનું પ્રત્યક્ષાર્થ ને પરોક્ષાર્થનું સરસ નિરૂપણ કરેલું છે. તેમજ બીજા કેટલાક શિક્ષાપત્રી અર્થ દિપીકા, શિક્ષાપત્રી રહસ્ય, શિક્ષાપત્રી વિવેચન, શિક્ષાપત્રી ભાષ્ય વિવેચન વગેરે ગ્રંથો છે.

૪. શિક્ષાપત્રી અજોડ ગ્રંથ કેમ છે ? આ રહ્યાં તેનાં કેટલાંક મંતવ્યો

  • આ લોક-પરલોકમાં સુખી જીવનની ચાવી એટલે આ આજ્ઞાપત્રી (શિક્ષાપત્રી).
  • તે સ્વામિનારાયણ સંપ્રદાયની આચારસંહિતા છે.
  • શિક્ષાપત્રીમાં દરેક વર્ગના નિયમો આપ્યા છે તેમજ દરેક વર્ગને નિત્ય વાંચન કરવાનું કહ્યું છે. દરેક વર્ગમાં કોના કોના નિયમ આવે તો... આચાર્યશ્રીના, આચાર્યની ધર્મપત્નીના, ગૃહસ્થના, ધનાઢ્ય ગૃહસ્થોના, રાજાના, સધવા સ્ત્રીઓના, વિધવા સ્ત્રીઓના, બંનેના સંયુક્ત, નૈષ્ઠિક વર્ણીના, સાધુના, બંનેના સંયુક્ત એમ મળી શિક્ષાપત્રી શ્લોક ૧૨૩થી ૨૦૨ સુધીના કુલ ૮૦ શ્લોકોમાં સમાવિષ્ટ કરેલ છે.
  • આ નિયમો પાળવા ખૂબ કઠિન પણ નથી. વળી, તે અશક્ય હોય તેવું પણ નથી. જો આજ્ઞાનો લોપ થાય તો પ્રભુનો કોપ થાય છે તેથી આજ્ઞા તો પાળવી જ.
  • જો ક્યારેક દેહભાવને યોગે કરીને કોઈક આજ્ઞાનો લોપ થાય તો તેનું પ્રાયશ્ચિત્ત પણ બતાવેલું છે જે મોટાપુરુષને પૂછીને કરી લેવું હિતાવહ છે કારણ કે પછી આળસી જવાય છે. પ્રાયશ્ચિત્ત વિના આધ્યાત્મિક ભજનભક્તિ ખજીને પડતાં નથી અને તે વિના પ્રગતિમાં રુકાવટ આવે છે.

૫.  શિક્ષાપત્રી સાર એટલે શું ?

  • શિક્ષાપત્રી આજથી ૧૮૮ વર્ષ પહેલાં લખાયેલ છે કે જ્યારે સમાજ સંપૂર્ણ નવા આદરવાળો હતો. આથી એ વખતના સમાજને પથ્ય પડે એ માટે શિક્ષાપત્રી મોટેભાગે પરોક્ષ રૂપે જ લખાયેલ છે. શાસ્ત્રોમાં મુખ્યત્વે ચાર પ્રકારની વાત આવતી હોય છે : રોચક, ભેદક, ભયાનક અને વાસ્તવિક. આથી મહાપ્રભુએ પણ શિક્ષાપત્રીમાં જ્યાં જેવી જરૂર હોય ત્યાં એવી આજ્ઞાઓ કરી છે. પરંતુ વર્ષો વીતતા સંત સમાગમે કરીને સમાજનું શુદ્ધીકરણ થતું રહ્યું છે. આથી મહાપ્રભુએ કરેલ જેમ છે તેમ આજ્ઞાઓ સત્સંગ સમાજમાં પ્રવર્તે એ માટે વ્હાલા ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આપણને સૌને શિક્ષાપત્રી સારની ભેટ આપી. જેમાં મૂળ શિક્ષાપત્રી ગ્રંથનો પરોક્ષાર્થમાંથી પ્રત્યક્ષાર્થ કરવામાં આવ્યો.
  • આ સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના એક આદર્શ સત્સંગી તરીકેનું અણીશુદ્ધ વર્તન બની રહે તે માટે અન્ય આજ્ઞાઓ જેવી કે, આદર્શ નિત્યપૂજા અંગે માર્ગદર્શન, સૂતક તથા રજસ્વલા ધર્મ પાળવાની વિધિ, ગ્રહણ વખતે પાળવાની ક્રિયાશુદ્ધિઓ તેમજ સત્સંગી તરીકે ફરજિયાત પાળવાની ક્રિયાશુદ્ધિઓની વિગત, મહાપ્રભુને રાજી કરવા માટે રોજબરોજની દૈનિક પ્રાર્થના, આદર્શ માનસીપૂજાની રીત તેમજ મહાપૂજા વિધિ વગેરેનો સમાવેશ કરી લેવામાં આવ્યો છે.
  • વર્તમાન પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ માટે પુસ્તકોનું વાંચન એટલે કંટાળાજનક પરિસ્થિતિ. કેમ કે પુસ્તકમાં પણ ઘણુંબધું માર્મિક હોય છે, ગૂઢાર્થભર્યું હોય છે જેથી વિદ્યાર્થીને સમજવું કઠિન પડે છે. તેથી તેના વિકલ્પ રૂપે અપેક્ષિતનું પ્રકાશન અનિવાર્ય બન્યું જે સર્વત્ર આવકારપાત્ર બન્યું. તેવું જ કંઈક આધ્યાત્મિક માર્ગમાં પણ બનેલું. મહાપ્રભુની ઘણીબધી માર્મિક, ગૂઢાર્થ વાણી સત્પુરુષ વિના કોણ સમજાવે ? તેથી ‘શિક્ષાપત્રી સાર’ની રચના એ અપેક્ષિતના વિકલ્પ સમાન છે તેમ સમજવું.
  • આમ, ‘શિક્ષાપત્રી સાર’માં શ્રીજીમહારાજની આજ્ઞા અને રુચિનો સ્પષ્ટ ખ્યાલ આપ્યો છે તેથી આજ્ઞાપાલકને વધુ સરળતા, સુગમતા ને સ્પષ્ટતા રહે તથા સમજપૂર્વક નિયમપાલનની શ્રદ્ધા વૃદ્ધિ પામે.