હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 18

  August 31, 2020

એક વખત શ્રીજીમહારાજ કુંડળ ઉતાવળી નદીમાં સંતો-હરિભક્તો સાથે સ્નાન કરવા પધાર્યા. મહારાજે સૌ સંતો-હરિભક્તો સાથે જળક્રીડા કરી. કાઠી ભક્તો જળક્રીડા કરવામાં મસ્ત બન્યા ત્યારે શ્રીજીમહારાજ બહાર નીકળી વસ્ત્રો બદલી સભામાં બેસી ગયા હતા. કાઠી ભક્તો પાછળથી બહાર નીકળી સભામાં મહારાજના ચરણસ્પર્શ કરી દર્શન કરવા આવ્યા ત્યારે શ્રીહરિએ ચરણ પાછા લઈ લીધા અને કહ્યું, “તમે અશુદ્ધ છો માટે અમને અડશો નહીં. તમે બધાએ લોહીમાં સ્નાન કર્યું છે. તમે જળક્રીડા કરતાં અમને ભૂલી ગયા અને રમતે ચડી ગયા. કીર્તનભક્તિ પણ ભૂલી ગયા માટે જળમાં નાહ્યા તોપણ લોહીમાં નાહ્યા બરાબર છે.” આવી રીતે શ્રીહરિએ સૌને સર્વે ક્રિયા મૂર્તિમાં રહીને કરવાની શીખ આપી પણ ક્રિયારૂપ થવા દીધા નહીં.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પણ પ્રકરણ-૧ની ૩૧૮મી વાતમાં કહ્યું છે કે, “અમારો મત એવો છે જે ક્રિયા કરાવવામાં પણ ક્રિયારૂપ ન થાવું ને ક્રિયા મૂકીને પણ તેના મનસૂબા ન કરવા ને વ્યવહાર આવ્યો તો ક્રિયા પણ કરવી પડે, પણ તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહીં.”
માત્ર મંદિરની સેવા-પ્રવૃત્તિ કરીએ એટલે એમાં બધું આવી ગયું એવું ન રાખવું. મંદિરની કે વ્યવહારિક કાર્યની કોઈ પણ ક્રિયા કરવી તો પડશે જ, પણ તે જેટલો પ્રતિલોમ લટકમાં રહીને કરવાનો પ્રયાસ થાય તેટલા તેનાથી નિર્લેપ રહેવાય. માટે અનાદિમુક્તની પ્રાપ્તિથી સ્થિતિ સુધીની યાત્રામાં આગળ વધવા અને પાત્રતા કેળવવા મૂર્તિરૂપી માળામાં, લટકમાં આવવાની પ્રૅક્ટિસ વધારીએ.
સદ્. ગુણાતીતાનંદ સ્વામીએ પ્રકરણ-૩ની ૧૭૦મી વાતમાં વાત કરી છે કે, “વરતાલમાં કથા થઈ તે ફેરે ઘણા દિવસ સુધી પ્રતિલોમ કરવાની વાતો કરી ને કરાવી. એવી રીતનો અભ્યાસ કરવા-સાંભળવાનો નિરંતર રાખે ત્યારે તે વાત સમજાય ને તે માર્ગે ચલાય, પણ તે વિના થાય નહીં.”
જેમ જેમ પ્રૅક્ટિસ વધતી જાય તેમ તેમ સહેલું થતું જાય ને યાત્રા ટૂંકી થતી જાય. માટે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા કેળવવા ને સ્થિતિ સુધી પહોંચવા દિવસ દરમ્યાનનાં વ્યવહારિક કે સત્સંગનાં કોઈ પણ કાર્યો હું અનાદિમુક્ત છું, સર્વે ક્રિયા મહારાજ કરે છે એવી પ્રતિલોમ લટકમાં રહીને કરવાં.
આવો, મુમુક્ષુ બનવા પાછા વળીએ...
અધ્યાત્મ માર્ગમાં અવરભાવ અને પરભાવની તમામ પ્રગતિનો આધાર હું કોણ છું ? શા માટે આવ્યો છું ? તેના પર છે. માટે તેના જવાબ વિચારોમાં સ્પષ્ટ રાખવા. તેનાથી જ અવરભાવ અને પરભાવ બેય શોભે છે. તેમાં પણ વિશેષ કરીને પરભાવમાં હું અનાદિમુક્ત છું આ પ્રૅક્ટિસ કરવાથી જ પરભાવની દૃઢતા થાય અને ધ્યેય તરફ આગળ વધાય.
દિવસ દરમ્યાન હું વિચાર તો ઘણા કરું છું... હું પુરુષ છું, હું પટેલ છું, હું ડૉક્ટર છું, હું પિતા છું, હું પતિ છું, હું જાડો છું, હું પાતળો છું, હું કાળો છું... આવા ઘણા ‘હું’ભાવની દૃઢતાના વિચાર કરું છું. પરંતુ તેનાથી તો જે દેહભાવનો પ્રલય કરવાનો છે તેની વધુ ને વધુ દૃઢતા થાય છે. જે દેહથી નોખા પડી વર્તવાનું છે તેની જોડે વધુ ને વધુ સંલગ્ન થતો જઉં છું. અને એટલે જ દેહને સુખ-દુ:ખ, હર્ષ-શોક, માન-અપમાન આદિક દ્વંદ્વોમાં પીડાવું પડે છે.
દેહથી આત્મા (હું) સંપૂર્ણ વિલક્ષણ છે. અજ્ઞાને કરીને દેહને મારું પોતાનું સ્વરૂપ માની લઉં છું. દોષને પોતાના માની લઉં છું. એટલે જ દેહના દોષોની પજવણીથી પીડાઉં છું. તેની આગળ હારી જઉં છું. દેહનો દાસ થઈ જઉં છું કારણ, દેહથી આત્મા નોખો છે તેની ખબર હોવા છતાં દેહથી વિરક્ત થઈને, નોખા પડીને વર્તવાની પ્રૅક્ટિસ કરતો નથી.
મહારાજ અને મોટાપુરુષે કૃપા કરી દેહભાવ ટળાવી મૂર્તિમાં રાખી જ લીધા છે તેવા કોલ આપ્યા છતાં તેમના વચનમાં વિશ્વાસ નથી આવતો તેથી દેહ રૂપે જ વર્તું છું.
ક્યાં સુધી આ દેહભાવના કીચડમાં રમ્યા કરીશ ? રાખનારે કૃપા કરી મૂર્તિમાં રાખી લીધા છે; હવે મારે તો માત્ર સમજણે કરીને દેહભાવના અજ્ઞાનને તોડી મૂર્તિમાં રહેવાનું છે. વળી, મારી જોડે મહારાજ અને મોટાનો સહારો છે અને વાસ્તવિકતા છે તેને સ્વીકારી માત્ર લટકમાં રહેવાનો પ્રયત્ન અને પ્રૅક્ટિસ જ કરવાની છે માટે હવે તેમાં ગાફલ નથી થવું. બસ દિવસ દરમ્યાન સર્વે ક્રિયામાં દેહથી નોખા પડી વર્તવાની સાથે મને મૂર્તિમાં જ રાખ્યો છે એવા પ્રતિલોમભાવમાં, પરભાવના જ વિચારમાં ડૂબેલા રહેવું છે. પરભાવના મનન-ચિંતને કરીને જ પરભાવમાં પહોંચાય, અવરભાવના મનન-ચિંતને કરીને નહીં. માટે અવરભાવમાં રહેવા છતાં પરભાવમાં ડૂબેલા રહેવું છે. તે માટે હવે આટલું કરવું જ છે :
૧. દિવસ દરમ્યાન ઓછામાં ઓછો પાંચ વખત ‘હું કોણ છું ?’નો વિચાર કરીશ.
૨. સુખ-દુ:ખ, હર્ષ-શોક, માન-અપમાન આવા ગમે તે સંજોગો આવે તેમાં દેહથી નોખા પડવાનો પ્રયત્ન કરવો છે. અંત:શત્રુની સામે આ વિચારે લડવું જ છે.
૩. દિવસ દરમ્યાન સર્વે ક્રિયા પ્રતિલોમભાવમાં રહીને કરવાનો પ્રયાસ કરવો છે.
હે મહારાજ ! હે બાપા ! હે બાપજી ! હે સ્વામીશ્રી ! દયાળુ, અનાદિકાળનો દૃઢ થઈ ગયેલો દેહાધ્યાસ એ પોતાના બળથી ટળે એવો નથી. મોટા મોટા ઋષિમુનિઓ પણ નહોતા ટાળી શક્યા. માટે દયાળુ, આપ દયા કરી દેહભાવ ટળાવો. દેહથી નોખા પડી વર્તી શકાય એવું બળ આપો. આપના બળે જ આ લક્ષ્યાંકને ખરા અર્થમાં સિદ્ધ કરી શકું એવી દયા કરો... દયા કરો... દયા કરો...