સકામ મટી નિષ્કામ થઈએ : 12

  February 10, 2020

બીજું શ્રીજીમહારાજે સાંખ્ય વિચાર દૃઢ કરાવવાનો આગ્રહ સેવતાં કહ્યું છે કે,
“મુજ વિના જાણજો રે, બીજા માયિક સહુ આકાર,
પ્રીતિ તોડજો રે, જૂઠાં જાણી કુટુંબ પરિવાર.”
નિષ્કામભાવ કેળવવા એકમાત્ર રાજીપાની જ ઇચ્છા અને રાજીપામાં વર્તવાની તત્પરતા હોય તે જ ખરા નિષ્કામ બની શકે.
“રાજી હોય હરિ એ જ કરે, રાજી ન હોય તે ન કરે રે;
રાજીપા સાટે બીજું કશું નહિ, એક મૂર્તિ તણી આશ દાખે રે.”
કોઈ પણ પ્રકારના ઠરાવ વગર જેમાં શ્રીજીમહારાજ અને મોટાપુરુષ રાજી હોય તે કરવા માટે તત્પર થવું. જે કાંઈ સાધન-ભક્તિ કરવાં તે પણ એક રાજીપા સિવાયની કોઈ પણ પ્રકારની ઇચ્છા વગર કરવાં. સકામભાવે કરેલાં સાધનનું કોઈ જ મૂલ્ય નથી. નિષ્કામભાવે કરેલાં સાધન જ ખજીને પડે છે. સદ્‌. ગોપાળાનંદ સ્વામીએ પણ નિષ્કામભાવે કરેલાં સાધનનું મૂલ્ય દર્શાવતાં ૪૮૮મી વાતમાં કહ્યું છે કે, “ભક્તિ, તપ, જ્ઞાન, વૈરાગ્ય, સ્વધર્મ અને વ્રતાદિક એમાં કોણ શ્રેષ્ઠ છે ? ઉત્તર જે, નિષ્કામભાવે કરીને સાધન કરે તો સર્વે શ્રેષ્ઠ છે, નહિ તો સર્વ સમાન છે.”
માટે કોઈ પણ સાધન કરીએ, ભજન-ભક્તિ કરીએ કે સેવા કરીએ તો કોઈ માયિક અવરભાવનું સુખ મેળવવાની ઇચ્છા ન રાખવી. એકમાત્ર રાજીપાની જ ઇચ્છા રાખવી તેવો આગ્રહ દર્શાવતાં ગઢડા છેલ્લાના ૨૫મા વચનામૃતમાં શ્રીજીમહારાજે કહ્યું છે કે, “ભગવાનસંબંધી ભક્તિ, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા એ આદિક જે જે કરવું તેમાં બીજા ફળની ઇચ્છા ન રાખવી પણ એટલી તો ઇચ્છા રાખવી જે એણે કરીને મારી ઉપર ભગવાનની પ્રસન્નતા થાય.”
સાધન-ભક્તિમાં રાજીપા સિવાય માયિક સુખની તો ઇચ્છા ન રાખવી પરંતુ માન-સન્માન, મોટપ મળે એવી ઇચ્છા પણ ન રાખવી. હું આટલી સેવા કરું તો મને હાર પહેરાવે, નામ બોલાય, વખાણ થાય તેવી ઇચ્છા પણ ન ઊઠવા દેવી. એટલું જ નહિ, સેવા કરી તેના બદલામાં રાજીપાદર્શનની પણ ઇચ્છા ન રાખવી. બધું જ કરીએ, એના બદલામાં કેવળ રાજીપાની જ ઇચ્છા અને રાજીપાના બદલામાં એકમાત્ર મૂર્તિસુખની જ આશા રાખી રાજી કરવા મંડ્યા રહેવું. એ માટે અપેક્ષા રહિત જીવન જીવવું. જેટલી માયિક પદાર્થ કે વ્યવહારિક મોટપ મેળવવાની ઇચ્છા રહે એટલા સકામ થવાય. માટે કોઈ પ્રકારની અપેક્ષા ન રાખવી.

રાજીપાના બદલામાં આત્મદર્શનની પણ ઇચ્છા ન રાખવી. હું આટલું ધ્યાન કરું છું, આટલું તપ કરું છું તો આત્મા કેવો છે ? તેનું સુખ કેવું છે ? તે જાણવાની પણ જો ઇચ્છા રહે તો એટલો સકામભાવ કહેવાય. કારણ, આત્મદર્શનની ઇચ્છા કરવાથી આત્મભૂમિકાએ અટકી જવાય, આગળ પ્રગતિ ન કરી શકાય.

સદ્‌. ગુણાતીતાનંદ સ્વામીએ આત્મદર્શીને ખાટી છાશ જેવા વર્ણવતાં કહ્યું છે કે, “આત્મદર્શી છે તે ખાટી છાશના ભોગી છે ને જે મૂર્તિ છે તે ઘી છે. આપણે તો મૂર્તિ વડે જ રહેવું; ખાટી છાશમાં શું માલ છે ?”
છાશ અને ઘીમાં કેટલો મોટો તફાવત છે ! છાશ બાવીસ રૂપિયાની લિટર આવે જ્યારે ઘી પાંચસો રૂપિયાનું કિલો આવે. બેયનું સુખ પણ જુદું આવે, શક્તિ પણ જુદી આવે. તેમ આત્મદર્શનનું સ્થિતિના માર્ગમાં કોઈ મૂલ્ય નથી. મૂર્તિરૂપી ઘીમાં જોડાયેલા રહેવું.
આ ઉપાયોમાં જાણપણારૂપી પુરુષપ્રયત્નની સાથે મોટાપુરુષનો જોગ-સમાગમ પણ કરીએ તો સંપૂર્ણ નિષ્કામ થવાય.
આવો, મુમુક્ષુ બનવા પાછા વળીએ...
મહારાજ કહે છે કે, સકામ ભક્ત એ ભક્ત જ નથી કારણ, તે સત્સંગ મનોચ્છિત અપેક્ષાઓ પૂરી કરવાના હેતુથી જ કરે છે ને જો અપેક્ષા ન સંતોષાય તો તે સત્સંગ છોડી દે. આવા સકામ ભક્તનું નામ મહારાજના લિસ્ટમાં રહેતું નથી.
અહીં મહારાજે સકામ ભક્તની વાત કરી એવું જ મારું જીવન છે ?. હું તો જે કાંઈ સત્સંગ કરું છું તે દેહ, દેહનાં સુખ, સંપત્તિ, દ્રવ્ય મેળવવા માટે જ કરું છું. એની જ એકમાત્ર અપેક્ષા રહે છે. ક્યાંક અપેક્ષા ન સંતોષાય તો મને સંકલ્પ-વિકલ્પ થવા માંડે છે. સત્સંગ પણ ઢીલો પડી જાય છે. ક્યાં સુધી આવો મૂળ વગરનો સત્સંગ કરીશ ? મારો આવો સત્સંગ ક્યાં સુધી ટકશે ? ખરેખર હું તો સત્સંગ કરવાનો મૂળ હેતુ જ ભૂલી ગયો છું તેથી સત્સંગ કરવા છતાં આગળ વધવાને બદલે પાછો પડી જઉં છું.
ગઢડા પ્રથમના ૭૦મા વચનામૃતમાં મહારાજે આત્માના કલ્યાણ માટે સત્સંગ કરવાનો કહ્યો છે પરંતુ હું તો દેહના કલ્યાણ માટે કહેતાં તેના સુખ માટે મનની ઇચ્છાઓ પૂરી કરવા જ સત્સંગ કરું છું.

હવે મારે મારા મનની ઇચ્છાઓ-અપેક્ષાઓ પૂરી કરવા સત્સંગ નથી કરવો, પરંતુ મહારાજ અને મોટપુરુષની ઇચ્છા, અરમાનો પૂરા કરવા જ સત્સંગ કરવો છે. સકામભાવ ટાળી મારો સત્સંગ મજબૂત કરવો છે.

વળી મહારાજ કહે છે કે, નિષ્કામ ભક્ત જ ખરા ભક્ત છે. તેની ઉપર વગરમાગ્યે રાજીપો થાય છે અને એ જ આ લોકની વાસનાનો ત્યાગ કરી મૂર્તિના સુખને પામે છે.
કડવા ભક્ત જેવા જે સંપૂર્ણ નિષ્કામ થાય એની ઉપર જ મહારાજનો રાજીપો થાય અને એ જ મૂર્તિના સુખને પામી શકે છે અને ખરા ભક્ત બને છે. તેના માટે આ લોકની વાસનાનો, દેહના સુખનો ત્યાગ કરવો ફરજિયાત છે. જ્યારે હું તો આ લોકની વાસનાનો ત્યાગ કરવાને બદલે દિવસે દિવસે વધારતો જાઉં છું. તે શું કરું તો વધુ મળે તેવા જ પ્રયત્ન કરું છું. દેહના લાલનપાલન અને સુખ માટેના જ વિચારમાં તથા પ્રયત્નમાં ડૂબેલો રહું છું. તેના માટે જ મહારાજ અને મોટાપુરુષ આગળ માગણી કરું છું. ખરેખર તો તેઓ મૂર્તિનું સુખ આપવા જ આવ્યા છે અને મારે પણ એ જ પામવાનું છે. સત્સંગમાં આવીને મેં જાણ્યું પણ છે કે સકામ ન થવું; નિષ્કામ થવું. એકમાત્ર મૂર્તિના સુખની જ માગણી કરવી. તેમ છતાં એ જાણેલું જ્ઞાન મારા જીવનમાં ક્યાંય ઉપયોગમાં આવતું નથી. પણ હવે તો મારે ખરા નિષ્કામ બનવું જ છે.
માટે હવે મારા જીવનમાં પરિવર્તન લાવવું જ છે. તે માટે દૃઢ સંકલ્પ કરું છું કે,
૧. દેહ, દેહનાં સુખ કે દેહના સંબંધી માટે થઈ સકામ થવું નથી.
૨. મોટાપુરુષ આગળ લૌકિક સુખની માગણી નહિ કરું.
૩. મહારાજ-મોટા જ્યારે જે પરિસ્થિતિમાં રાખે ત્યાં સહર્ષ રહેવું છે.
૪. એક મૂર્તિના સુખની જ ઇચ્છા રાખીશ.
૫. મહારાજ રાખે એમ રહીશ અને દેખાડે તે જોઈશ.

હે મહારાજ, હે બાપા, હે બાપજી, હે સ્વામીશ્રી ! દયાળુ, આપ મૂર્તિના સુખનું જ દાન આપવા પધાર્યા છો. એ સુખનો મને અધિકારી કરજો. તેમ છતાં અવરભાવના યોગે કરી જો હું મૂર્તિ સિવાય બીજા આ લોકના સુખની માગણી કરું તો તેને કદી પૂરી ન કરશો. દિન-પ્રતિદિન મને મૂર્તિના સુખનો આગ્રહ વધે તેવી દયા કરો, દયા કરો, દયા કરો...