સકારાત્મક દૃષ્ટિકોણ - 3

  September 2, 2019

મહારાજ અને મોટાપુરુષોએ ઘણે ઠેકાણે ગુણગ્રાહક થવા માટેના ગૂઢ અભિપ્રાયો આપ્યા છે. પરંતુ ગુણ જોવા અને ગુણ ગ્રહણ કરવા આ બે વચ્ચે ઘણો ભેદ છે. ગુણ જોવો સહેલો છે જયારે ગુણ ગ્રહણ કરવો અઘરો છે. કારણ કે ગુણ જોવામાં માત્ર ગુણ જોઈને ક્રિયા પૂરી થઈ જાય છે. જેમ કે, “વિવેકભાઈ બહુ જ નિર્માની છે.” આને કહેવાય ગુણ જોવો. ગુણ જોવામાં અહીંથી ક્રિયા અટકી જાય છે. જ્યારે ગુણ ગ્રહણ કરવામાં – વિવેકભાઈ બહુ જ નિર્માની છે આવો ગુણ જોયા પછી એને સ્વજીવનમાં અમલીકરણ કરવાનો હોય છે. પોતાના જીવનમાં એવું નિર્માનીપણું કેળવવાનું હોય છે. અને એને જ વાસ્તવિકતાએ ગુણ ગ્રહણ કર્યો કહેવાય. ગુણ જોવામાં માત્ર ગુણ જોઈને અટકી જવાનું હોય છે; આપણું કશું જ મૂકવાનું નથી હોતું જયારે ગુણ ગ્રહણ કરવામાં આપણું કૂંડાળું છોડવાનું હોય છે એટલે કે આપણું મનગમતું, આપણા સ્વભાવ, આપણી રીતિ-નીતિ, આપણા વર્ષોથી પડી ગયેલા ઢાળ બદલવાના હોય છે. એટલે ગુણ જોવો સહેલો છે અને ગ્રહણ કરવો અઘરો છે.
ગુણ ગ્રહણ કરવો અઘરો છે પરંતુ અશક્ય તો નથી જ. ત્યારે આપણે સ્વજીવનમાં ગુણગ્રાહક ન થઈ શકવાનાં કારણો તપાસી તેને દૂર કરી ગુણગ્રાહક બનીએ. ગુણગ્રાહક ન થઈ શકવાનું સૌથી પહેલું કારણ છે – આપણું માન. આપણા માને કરીને આપણને આપણી કંઈ ખોટ્ય દેખાતી જ નથી. કોઈ પણ બાબતમાં આપણે પોતાને સંપૂર્ણ જ માનીએ છીએ. દરેક બાબતમાં આપણને આપણું જ સારું અને સારું લાગે છે. જો પોતાને અપૂર્ણ મનાય તો બીજાની સારી વાતને જોઈ શકાય, બીજાના સારા ગુણને જોઈ શકાય અને ગ્રહણ કરી શકાય. બાપાશ્રી કહેતા કે, “આ જીવમાં લાખ-કરોડ દોષ હોય ને સાજા દોષનું જ ઝાડ હોય ને એક પણ ગુણ ન હોય તોપણ પોતાને સવા શેર માને એવો અવળો છે.”
વળી, ગુણગ્રાહક ન થઈ શકવાનું બીજું કારણ છે – પૂર્વાગ્રહ. એકબીજા માટે પડી ગયેલી છાપ, જૂના ડાઘ એટલે જ પૂર્વાગ્રહ. “આ તો આવો જ છે”, “આનો તો આવો જ સ્વભાવ છે”, “આની રીતો આવી જ હોય” – આવા બધા પૂર્વાગ્રહના ડાઘને લીધે આપણે વ્યક્તિના ગુણોને ગ્રહણ કરી શકતા નથી. ઘણી વખત આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોઈ શકે છે. દરેક પરિસ્થિતિઓ, સમય-સંજોગ કોઈ વ્યક્તિ માટે સરખાં હોતાં નથી. એણે કરીને કોઈને વિષે પૂર્વાગ્રહ ન બાંધી દેવાય. જેમ કે આપણે કોઈ વ્યક્તિને આપણા પ્રસંગમાં આવવાનું આમંત્રણ આપ્યું અને સંજોગોવશાત્ તે વ્યક્તિ હાજર ન રહી શકે તો તેનો અવગુણ લેવાની જરૂર નથી. પરંતુ એવા સમયે તે વ્યક્તિએ અન્ય પ્રસંગોપાત્ત આપણને જે મદદ કરી હોય તેના ગુણનો વિચાર કરીએ.
વળી, ગુણ ગ્રહણ ન કરી શકવાનું ત્રીજું કારણ છે - મહાભ્યની કચાશ. જેમ આપણને રાજાનો અને રાજાના કુંવરનો મહિમા સમજાય છે તો એનામાં ગમે તેટલા દોષ કે સ્વભાવ હોય, અવગુણ હોય તોપણ આપણને એનો અવગુણ આવતો નથી અને કેવળ ગુણ જ લઈએ છીએ કારણ કે રાજાનો મહિમા સમજ્યા છીએ. બસ, એમ જ સૌ સંતો-ભક્તો મારા મહારાજના વ્યતિરેકના સંબંધવાળા છે; અનાદિમુક્તો છે એવો જો સંતો-ભક્તોનો મહિમા સમજાય તો તેમનામાં અવરભાવના ગમે તેટલા દોષ-સ્વભાવઅવગુણ દેખાય છતાં પણ આપણા આંતરજીવનમાં એનો ક્યારેય દંશ ન બેસે.
વળી, ચોથું કારણ છે – આપણી દોષદષ્ટિ. અન્યમાં કદાચ ગમે તેટલા સારા ગુણો હોય, પરંતુ આપણી દોષદષ્ટિએ કરીને આપણને એનો દોષ જ દેખાય છે. આપણે લાલ ચશ્માં પહેર્યા છે એટલે આપણને બધું જ લાલ દેખાય છે. પરંતુ વાસ્તવિકતાએ કશું
જ લાલ નથી; આપણાં ચશ્માં લાલ છે. એમ દોષદૃષ્ટિને લીધે આપણને અન્યમાં દોષ ન હોવા છતાં પણ દોષ જ દેખાય છે, કારણ કે આપણી દૃષ્ટિ જ એ રૂપ થઈ ગઈ છે.
વળી, પાંચમું કારણ છે – આપણને ગુણો જોવાનો અભ્યાસ નથી. ક્યારેક આપણે અવગુણ ન લેવો એવું પણ હોતું નથી, પરંતુ અવગુણ લેવાની સહજ રીતથી જ આપણે અવગુણ લેતા હોઈએ છીએ. આ પરિસ્થિતિમાં... જેમ આપણે કેલેન્ડર ખરીદીને લાવીએ છીએ ત્યારે તેનો ગોળ રોલ વાળેલો હોય છે તેને સીધું કરવા માટે આપણે તેની વિરુદ્ધ દિશામાં ગોળ વાળીએ છીએ, વારંવાર તેને ગોળ વાળીએ છીએ ત્યારે તે સીધું થાય છે. બસ, એવું જ અહીં કરવાનું છે. જેટલી સહજતાથી અવગુણ લેવાની ટેવ પડી ગઈ છે એવી જ સહજતાથી ગુણ લેવાની ટેવ પાડશું તો જરૂરથી ગુણગ્રાહક બનાશે.
વળી, ગુણગ્રાહક ન થઈ શકવાનું છઠું અને અંતિમ કારણ છે – આપણને ગુણાનુવાદની ટેવ નથી. આપણા માણસની એવી સાહજિક રીત હોય છે કે આપણે કોઈની નકારાત્મક બાબતોને જલ્દીથી પકડી લેતા હોઈએ છીએ. આપણને એવું કહેવામાં આવ્યું હોય કે, “આ વ્યક્તિના બે મિનિટ ગુણ કહો તો આપણે નહિ કહી શકીએ, પરંતુ અવગુણ વિષે બોલવાનું કહ્યું હોય તો આપણને બોલતા અટકાવવા પડે; સમય ઓછો પડે. બે મિનિટ પણ આપણે કોઈના ગુણ વિષે બોલી શકતા નથી. એનું કારણ એ જ છે કે આપણને ગુણાનુવાદની ટેવ નથી. જો આપણા સ્વજીવનમાં ગુણાનુવાદની ટેવ પડી જશે તો સહજતાથી ગુણગ્રાહક થઈ જવાશે. ત્યારે ગુણગ્રાહક ન થઈ શકવાનાં કારણો તપાસી આપણા સ્વજીવનમાં કયું કારણ લાગુ પડે છે તેને શોધી દૂર કરીએ અને આપણા જીવનને ગુણોથી હરિયાળું અને મઘમઘતું કરીએ એ જ અભ્યર્થના.